શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ – સંસ્થાનો પરિચય અને તેની પ્રવૃત્તિઓની ઝલક

મહામંડળની સ્થાપના

આશરે સાડા સાત દશકા પહેલા કોઈ શુભ પળે,કેટલાક ઉત્સાહી બંધુઓને જ્ઞાતિના સંગઠન અને તેના થકી જ્ઞાતિના સર્વાંગી વિકાસ-ઉત્કર્ષ માટે વિચાર આવ્યો અને તે વિષે પ્રચાર કાર્ય,પ્રવાસ શરૂ કર્યા.કાર્તિક પૂર્ણીમાની શુભતિથી (સવંત ૧૯૯૬)ના શુભ દિવસે ગુજરાતનું પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરનું તિર્થ-સંમેલનના સમય અને સ્થળે નક્કી થયા.

સવંત ૧૯૯૬ના કાર્તિકી પુનમને રવિવારે તા.૨૬-૧૧-૧૯૩૯ બપોરે એક વાગ્યે શ્રીમાળી સોની જ્ઞાતિના અગ્રણીઓની પ્રથમ બેઠક ડાકોરમાં અનાથ રક્ષક આશ્રમમાં મળી હતી.રાજકોટના શ્રી જમનાદાસ પારેખની દરખાસ્તથી  અને શ્રી કેશવલાલ અંબાલાલ સોની (ગોધરા)ના ટેકાથી સર્વાનુમતે ગુજરાતના સાક્ષાર લેખક-કવિ શ્રી રમણલાલ પી.સોનીની પ્રમુખપદે વરણી  થઈ હતી.

કલાકાર માસિકના તંત્રી શ્રી ભગવાનજી સુવર્ણકારે (ભાવનગર) જ્ઞાતિના તમામ બંધુઓનું એક મંડળ સ્થાપવાનો ઠરાવ મુક્યો હતો જે સભાએ રસભરી ચર્ચા સાથે પસાર કર્યો હતો.આ આદિ-ઐતિહાસિક ઠરાવ મુજબ શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળની સ્થાપના કરવામાં આવી.

વિકાસયાત્રા

ડાકોર પરિષદની ફલશ્રુતિ એટલે મહામંડળની સ્થાપના અને ભવિષ્યમાં ઘેઘુર વટવ્રુક્ષ બનનાર આ સંસ્થા માટેની પૂર્વભૂમિકાનું નિર્માણ સને ૧૯૩૯ થી ૧૯૪૧ સુધીના બે વર્ષના ગાળામાં મહામંડળના માધ્યમથી સમાજના સંગઠન અને સર્વાંગી ઉત્કર્ષ માટે અને નામી-અનામી કાર્યકર્તાઓએ પ્રચાર-પ્રવાસ કર્યા,જેમાં મુખ્યત્વે શિક્ષણને પ્રોત્સાહન માટે છાત્રાલયોની સ્થાપનાનો અને મહામંડળનો સંદેશ સમાજમાં ઘેરઘેર ગુંજતો કરવા માસિક મુખ-પત્ર ‘જાગૃતિ’ના પ્રકાશન ઠરાવ થયો.

એક વાર શુભઘડીએ સંસ્થાનો પાયો નંખાયો તે પછી તો  આપણા પ્રતાપી પૂર્વજોના સંનિષ્ઠ પુરૂષાર્થ,અદમ્ય ઉત્સાહ,સમાજસેવાની લગન અને  સમાજમાંથી મળતા જતા પ્રેરક પ્રતિસાદથી એક પછી એક પરીષદો યોજાતી રહી અને શિક્ષણને પ્રોત્સાહન,મહિલા-ઉત્કર્ષ,જરૂરતમંદ જ્ઞાતિજનોને વિવિધ રાહત જેવા સમાજ ઉપયોગી કાર્યો હાથ ધરાવા લાગ્યા.

વિકાસયાત્રાના સીમાચિન્હો

સને ૧૯૬૪ ની ૧૧-૧૨ નવેમ્બરે જામનગર મુકામે સાતમી પરિષદમાં મહામંડળની રજત-જયંતી ઊજવાઈ,સને ૧૯૮૮ની ડીસેમ્બરે  અંબાજી મુકામે મળેલી અગિયારમી પરિષદમાં મહામંડળની સુવર્ણજયંતી ઊંજવાઈ અને સને ૧૯૯૩માં ૧૮-૧૯ ડીસેમ્બરે વડતાલ મુકામે મળેલી બારમી પરિષદમાં ‘જાગૃતિ’ના સુવર્ણ –જયંતી અંકની પ્રકાશનવિધિ થઇ મહામંડળના વિકાસયાત્રાના આ સીમાચિન્હો છે તા.૨૬-૧૧-૨૦૧૪ના રોજ આપણું મહામંડળ હીરક જયંતીમાં પ્રવેશી ચૂકયું છે.

સેવાકીય પ્રવૃત્તિઓની ઝલક

મહામંડળની ૧૫ પરિષદો અને તેના સાત દશકાના ગોરવપૂર્ણ કાર્યકાળ દરમિયાન સમાજહિત અને સમાજ-ઉત્કર્ષની જે પ્રવુત્તિઓ વિકસીને તે માટે જ વિવિધ અનામતફંડો સ્થપાયા તેની માહિતી અહી પ્રસ્તુત છે.

શિક્ષણને પ્રોત્સાહન : છાત્રાલયોની સ્થાપના

વઢવાણ છાત્રાલય

સને ૧૯૪૨માં છાત્રાલયની સ્થાપના મુખ્યત્વે માધ્યમિક શાળાના વિધાર્થીઓ માટે થઈ હતી.લગભગ સાડાત્રણ-ચાર દશકા સુધી આપણી જ્ઞાતિના અનેક વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રાપ્તિની સુવિધા આપનાર આ છાત્રાલયમાં ધીમેધીમે છાત્રોની સંખ્યા ઘટતી ગઈ. કેમ કે હવે નાનાં ગામોમાં પણ શાળા-મહાશાળાના શિક્ષણની સુવિધા મળી શકે છે.આથી આ છાત્રાલયનું મકાન ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને શાળા ચાલવવા માટે ભાડે અપાયું છે.

વઢવાણ છાત્રાલયનું સરનામું : શ્રીમાળી સોની છાત્રાલય,રેલવે સ્ટેશન સામે,વઢવાણસિટી,જિ. સુરેન્દ્રનગર.

નવરંગપુરા છાત્રાલય અમદાવાદ

સને ૧૯૫૧માં આ છાત્રાલયનો પ્રારંભ થયો છે.અમદાવાદ ખાતે વાડજ છાત્રાલયનો પ્રારંભ થયો જેથી નવરંગપુરા છાત્રાલયમાં મહામંડળની મુખ્ય ઓફીસ કાર્યરત છે.

કાર્યાલયનું સરનામું : શ્રીમાળી સોની છાત્રાલય,એચ.એલ.કોમર્સ કોલેજ પાછળ,નવરંગપુરા,અમદાવાદ-૩૮૦૦૦૯.ફોન: (ઓ) ૨૬૪૦૩૨૮૭, ૨૬૪૦૧૫૦૪.